પામવું જો હોય ચોમાસું, પલળવું જોઈએ;છાપરું, છત કે નયન થઈનેય ગળવું જોઈએ.
એ શરત છે કે પહેલાં તો પ્રજળવું જોઈએ;તે પછી લેખણથી શબ્દોએ ‘પીગળવું’ જોઈએ.
સૂર્યની માફક ઊગ્યા છો તે ઘણું સારું થયું;સૂર્યને માફક સમયસર કિન્તુ ઢળવું જોઈએ;
માત્ર શોભા પૂરતા અસ્તિત્વનો શો અર્થ છે?પુષ્પ છો તો શ્વાસ છોડીને પીગળવું જોઈએ.
છે ઘણી રેખા વિરહની હાથમાં એ છે કબૂલ ;પણ નવી રેખાઓ ચીરીનેય મળવું જોઈએ.
માત્ર શબવત જિંદગી જીવી ગયાનો અર્થ શો ?છે રગોમાં લોહી તો લોહી ઊકળવું જોઈએ.
આવી પહોંચ્યું છે જળાશય આંખનું ; હું જાઉં છું;ને તમારે પણ અહીંથી પાછા વળવું જોઈએ.
– ભગવતીકુમાર શર્મા
No comments:
Post a Comment